રતનપુર (પાવીજેતપુર) ખાતે ગેરકાયદે રેતી ખનન સામે ગ્રામજનોનો હલ્લાબોલ

રતનપુર (પાવીજેતપુર) ખાતે ગેરકાયદે રેતી ખનન સામે ગ્રામજનોનો હલ્લાબોલ
ચાર હાઇવા પકડી પડાયા, ખાન–ખનીજ વિભાગ સામે સવાલો
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના રતનપુર ગામ નજીક ગેરકાયદે રીતે બે નંબરની રેતી ખનન કરી રહેલા ચાર હાઇવાને ગામના જાગૃત ગ્રામજનોએ ઝડપી પાડ્યા હતા. નદી પટમાંથી થતી ગેરકાયદે રેતી ખનનના કારણે ગામના આંતરિક માર્ગો, પર્યાવરણ તેમજ નદીના કુદરતી વહેણને ભારે નુકસાન થતું હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ સ્થળ પર જ હલ્લાબોલ કર્યો હતો.
ઘટનાની જાણ થતાં ગ્રામજનોએ તાત્કાલિક ખાન–ખનીજ વિભાગના અધિકારીઓને સ્થળ પર બોલાવ્યા હતા. અધિકારીઓ આવે ત્યાં સુધી ગ્રામજનોએ હાઇવાને અટકાવી રાખ્યા હતા. ગ્રામજનોએ ગેરકાયદે ખનન સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી તેમજ આવા બનાવો વારંવાર બનતા હોવાનો ભારે રોષ વ્યક્ત કર્યો હતો.
ખાન–ખનીજ વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે. જોકે ગ્રામજનોએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે, જો ગેરકાયદે રેતી ખનન પર તાત્કાલિક અને કાયમી અંકુશ નહીં મુકવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
વિચારવા જેવી બાબત એ છે કે જ્યારે ગામના સામાન્ય લોકો રેતી ચોરોને પકડી શકે છે, ત્યારે ખાન–ખનીજ વિભાગના અધિકારીઓને આ ગેરકાયદે ખનનની ખબર કેમ ન પડે?
શું આ બેદરકારી છે કે પછી મૌન સંમતિ?
રિપોર્ટર ફારૂક ખત્રી જેતપુર




