તપાસ: ટ્રેનમાં વિખૂટો માસૂમ ઝાલોદમાં મળ્યો, પિતાએ સ્વીકારવાની ના પાડી!.

તપાસ: ટ્રેનમાં વિખૂટો માસૂમ ઝાલોદમાં મળ્યો, પિતાએ સ્વીકારવાની ના પાડી!
દાહોદ જિલ્લાના ઝાલોદ નગરના બસ સ્ટેશન પર એક સેવાભાવી નાગરિકને 13 વર્ષનો બાળક મળી આવતા હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મુંબઈના માહીમનો રહેવાસી મીત સુરજ રાઠોડ ટ્રેનમાં પોતાના પરિવારથી વિખટો પડી ગયો હતો અને ભટકતાં-ભટકતાં તે ઝાલોદ પહોંચી ગયો હતો. એક અજાણ્યા નગરમાં એકલો અને ડરેલો બાળક જંોઈને સેવાભાવી નાગરિકે તાત્કાલિક ઝાલોદ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે માનવતા દાખવીને તરત જ બાળકની મેડિકલ તપાસકરાવી અને તેના પરિવારની શોધખોળ શરૂ કરી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે મીત મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના ભાચુંદા ગામનો છે.તેના પિતા સુરજ રાઠોડ મુંબઈના માહીમ વિસ્તારમાં કામ કરે છે. પોલીસે તાત્કાલિક મીતના પિતા સુરજ રાઠોડનો સંપર્ક કર્યો અને તેમને પોતાના દીકરા વિશે જાણ કરી હતી. પરંતુ જે જવાબ મળ્યો તે સાંભળીને પોલીસ સ્તબ્ધ થઈ ગઇ હતી. પિતા સુરજ રાઠોડે પોતાના એકના એક પુત્ર મીતને લેવા માટે સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. પરિવારમાં બે પુત્રીઓ સાથે મીત એકમાત્ર પુત્ર હોવા છતાં પિતાની આ ક્રૂરતાએ સૌને આઘાત પમાડ્યો હતો. પોતાના પિતા દ્વારા તરછોડાયેલા માસૂમ મીતને ઝાલોદ પોલીસે એક દિવસ પોતાની સાથે રાખીને તેને પ્રેમ અને હૂંફ આપ્યા બાદ તેની ખાવાપીવાની વ્યવસ્થા કરી અને તેના પિતાને સમજાવવાનો પણ પ્રયાસ કર્યો પરંતુ પિતા પોતાના નિર્ણય પર અડગ રહ્યા હતાં. અંતે નિરાશ થયેલી ઝાલોદ પોલીસે ભારે હૈયે બાળકને દાહોદ ખાતેની બાળ કલ્યાણ સમિતિની સંસ્થામાં મોકલ્યો હતો. આ ઘટનાએ સમાજમાં માનવ સંબંધોની કથળતી જતી કિંમતો અને પિતાની બેજવાબદારી પર ગંભીર સવાલો
ઉભા કર્યા છે.
સમજાવટ છતાં ન માન્યા ઝાલોદ બસ સ્ટેશન માંથી મળેલા બાળકને લઇ જવા માટે તેના પિતા દ્વારા ઇન્કાર કરવામાં આવ્યો હતો. જેથી આ બાળકને બાળ કલ્યાણ સમિત િ સંસ્થા દાહોદ ખાતે સોંપવામાં આવ્યો છે. એકના એક પુત્રને લઇ જવા માટે પિતાને સમજાવ્યા હતા પણ તે માન્યા ન હતાં.- સી.કે. સીસોદીયા પીએસઆઇ ,ઝાલોદ
અહેવાલ: રાજકુમાર પરિહાર દાહોદ