સોમનાથ મંદિર ટ્રસ્ટ સામે દશનામ ગોસ્વામી સમાજનો આક્રોશ…*

*સોમનાથ મંદિર ટ્રસ્ટ સામે દશનામ ગોસ્વામી સમાજનો આક્રોશ…*
*200 વર્ષ જૂના સમાધિ સ્થળો રાતોરાત તોડી પડાયા, કલેકટરને રજૂઆત*
*સોમનાથ મંદિર ટ્રસ્ટ સામે દશનામ ગોસ્વામી સાધુ સમાજે ગંભીર આરોપો મૂક્યા છે. સમાજના સભ્યોએ વેરાવળ પ્રાંત કચેરી ખાતે જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપ્રત કર્યું છે.*
*દશનામ ગોસ્વામી સાધુ સમાજ સોમનાથ ના પ્રમુખ ગોતમપુરી ગોસ્વામી એ જણાવ્યું હતું કે, સોમનાથ ટ્રસ્ટે 22 માર્ચ 2025ના રોજ સમાજના પરિવારોના ઘરોનું ડેમોલિશન કર્યું હતું. સમાજે શાંતિપૂર્વક ટ્રસ્ટને કબજો સોંપી દીધો હતો. પરંતુ 9 જુલાઈ 2025ની રાત્રે ટ્રસ્ટે પોલીસ બંદોબસ્ત સાથે 200 વર્ષથી વધુ જૂની સમાધિઓ તોડી પાડી.*
*ડેમોલિશન સમયે ટ્રસ્ટના મેનેજર અને કોર્ટના અધિકારીઓ સમક્ષ રુદ્રેશ્વર મહાદેવની પૂજા-અર્ચના માટે પરવાનગીની માંગણી કરવામાં આવી હતી. મેનેજરે સહકારનું આશ્વાસન આપ્યું હતું. પરંતુ આજ સુધી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.*
*દશનામ ગોસ્વામી સમાજ આદિકાળથી મંદિર અને સમાધિઓની પૂજા-અર્ચના કરતો આવ્યો છે. તેઓ મહાદેવના વંશજ અને સનાતન ધર્મના રક્ષક તરીકે ઓળખાય છે. સમાજે સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ સામે ઉચ્ચસ્તરીય નિષ્પક્ષ તપાસની માંગણી કરી છે.*
*સમાજ દ્વારા વિસ્થાપિત પરિવારોના પુનર્વસવાટ, સમાધિ સ્થળોના પુનઃસ્થાપન અને રુદ્રેશ્વર મહાદેવની પૂજા-અર્ચના માટે પરવાનગીની માંગણી કરવામાં આવી છે. કલેકટર મારફતે આ પ્રશ્નોનો કાયમી અને સુખદ નિકાલ લાવવાની અપીલ કરવામાં આવી છે.*
*અહેવાલ :ગાવડીયા કે. કે.*